
તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત હોય છે. નવજાત શિશુઓ અને મોટી ઉંમરે થતી આ તકલીફના કારણો, ઉપચારો અને પરિણામો તદ્દન જુદા જ હોય છે.
સામાન્ય પીળીયો…
- ઘણા નવજાત બાળકોને જન્મ પછી ત્રીજા દિવસથી માંડીને સાત –આઠ દિવસ સુધી સાધારણ પીળીયો દેખાય છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એનાં લોહીમાં રક્તકણ અલગ પ્રકારના હોય છે. જન્મ પછી આ રક્તકણો તૂટવા માંડે છે. જો વધુ પડતાં રક્તકણો એક સાથે તૂટવા માંડે અથવા યકૃત પરિપક્વ ન હોય તો બાળકમાં પીળીયો મોટે ભાગે સાવ સામાન્ય અને બિનહાનિકારક હોઇ દવાની જરૂર રહેતી નથી. જો કે ઓછા વજન વાળા બાળકોમાં કોઈવાર આ પીળીયાની અસર વધારે દેખાતી હોય છે અને વધારે દિવસ (૧૫ થી ૨૦ દિવસ સુધી) એની અસર રહે છે.
ગંભીર પીળીયો…
- જન્મના પહેલા ૨૪ કલાકની અંદર જ પીળીયો દેખાય તો વધુ ગંભીર ગણાય. માતા અને બાળકના લોહીના વર્ગ જુદા જુદા હોય તો આવાં પ્રકારનો ગંભીર પીળીયો થાય છે. જે એકદમ જલ્દી વધે છે. અને યોગ્ય સમયે તાત્કાલિક સારવાર ન થાય તો બાળકના મગજ ઉપર માઠી અસર થાય છે. એ જ રીતે બીજા કોઈ કારણને લીધે પીળીયો વધારે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એ માટે લોહની તપાસ કરીને serum Bilirubin ની માત્રા જોવી પડે. જો આ માત્રા અમુક લેવલથી વધે તો કિરણોથી સારવાર આપવી પડે છે. આ માત્રા ખૂબ જ ઊંચી હોય તો કોઇક વખત લોહી બદલવાની (Exchange Transfusion) જરૂર પડી શકે છે.
- આવી સારવારનો નિર્ણય serum Bilirubinની માત્રા બાળકની પુખ્તતા, ઉંમર અને અન્ય તકલીફોને આધારે કરવાની હોય છે. આમ કોઇપણ પ્રકારના ગંભીર પીળીયામાં ડોક્ટરની સારવાર અને સલાહ બહુ જ જરૂરી છે. જો પીળીયો જન્મ પછી ૨૪ કલાકની અંદર જ દેખાય અથવા ૮ થી ૧૦ દિવસ ચાલુ રહે અથવા બહુ ઝડપથી વધતો હોય અને બાળક ધાવણ બરાબર ના લેતું હોય, સતત રડયા કરતું હોય તો સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ નહીં તો બાળકના મગજ ઉપર અસર થઈ શકે છે. બાળકને તાણ આવે, બેભાન થાય અને મૃત્યુ પણ પામી શકે છે. જો બાળક જીવિત રહે તો લાંબાગાળે મંદબુદ્ધિવાળું અથવા બહેરું પણ બની શકે છે.
ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ?
- જો જન્મ પછી 24 કલાકમાં પીળીયો દેખાય.
- જો 10 થી 14 દિવસ સુધી પીળીયો ચાલે.
- જો બાળક ધાવણ બરાબર ના લે, સતત રડે, તાણ આવે.
પીળિયાની સમયસર અને યોગ્ય સારવાર નવા જન્મેલા બાળકના સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. કોઈપણ શંકા લાગે તો રાહ જોયા વગર તરત જ નવજાત શિશુ રોગ નિષ્ણાતની સલાહ લઈ લેવી.