
ઓરીની બીમારી એક જાતના વાયરસનો ચેપ લાગીને થાય છે. દર્દીના ઉધરસ અથવા લીંટથી ઊડતા છાંટામાં રોગના જંતુઓ હોય છે. દર્દીના સંપર્કમાં બાળક હોય તો તેને હવા મારફતે જંતુઓનો ચેપ લાગે છે.
ચેપ લાગ્યા પછી એકાદ બે અઠવાડિયે બાળકને તાવ, શરદી અને ખાંસી શરૂ થાય છે.નાકમાંથી પાણી નીકળે છે. આંખો લાલ થાય છે. ત્રણ -ચાર દિવસ પછી શરીર ઉપર લાલ ચાઠા જેવું નીકળે છે. સૌપ્રથમ આ ચાંઠા કાનની પાછળ અને કપાળ ઉપર દેખાય છે. ધીમે ધીમે આ ચાંઠાનો ફેલાવો થઈને બે દિવસમાં પગનાં તળિયાં સુધી પહોંચે છે અને ત્યારપછી બે દિવસમાં નીકળ્યા તે ક્રમમાં જ ઓછા થાય છે. દરમ્યાન બાળકને તાવ અને ખાંસી વધે છે, ખાવા-પીવાનું ઓછું થાય છે અને બાળક બહુ જ ચીડિયુ બને છે.
ઘણા લોકો ઓરી નીકળે તો “માતાજી પધાર્યા” એવું માને છે. ઓરીની બીમારીને ઓરી માતા પણ કહેવામાં આવે છે. બાળકોને સાતમા કે નવમા દિવસે નમાવીને નવડાવ્યા પછી જ બહાર લઈ જવામાં આવે છે. ત્યાં સુધી ઓરી માતાનો કોપ થશે એ બીકથી બાળકને દવા પણ આપવામાં આવતી નથી અને તે કારણે રોગની માઠી અસર થાય છે. જ્યારે બીમારી કે બીજી કોઈ પણ આફત માટે કોઈ દેખીતું કારણ ન મળે ત્યારે તે માટે ભગવાન અથવા માતાજીને જવાબદાર ગણવામાં આવે તે ખોટી અંધશ્રધ્ધા છે. પરંતુ ઓરી એક ચેપી રોગ છે. ઓરીના જંતુઓ ખાસ સૂક્ષ્મદર્શક યંત્રમાં નજરે જોઈ શકાય છે. ઓરીને અટકાવતી રસી પણ મળે છે.
ઓરી નીકળ્યા પછી બાળકને ગંભીર ઝાડા-ઉલટી, ન્યુમોનિયા અથવા ક્ષયરોગ (ટી.બી.) થવાની શક્યતા હોય છે. તેથી ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા કરાવવી. ઓરી દરમ્યાન પછી પણ બાળકની ભુખ ઓછી થઈ તેનું વજન ૧૦-૧૨ ટકા જેટલું ઘટે છે. તેથી બાળક જે ખાવા રાજી હોય તે તેને આપવું. તે ઠંડુ પડશે કે ગરમ પડશે એવો જરા પણ વિચાર કરવાની જરૂર નથી.
ઓરી નીકળ્યા પછી બાળકને બાહર લઈ જવામાં આવતું નથી. આ પ્રથા સારી છે. એક તો બીજા બાળકોને ઓરીનો ચેપ ન લાગે અને દર્દીને ન્યુમોનિયા જેવો ચેપ ન લાગે. પણ જરુર હોય તો ડૉક્ટરી તપાસ માટે, ડોક્ટર સાથે પહેલેથી સમય નક્કી કરીને બાળકને લઈ જવામાં વાંધો નથી. ડૉક્ટરના વેઈટીગ રૂમમાં લાંબા વખત સુધી બાળક ન બેસે જે બીજા બાળકો અને ઓરીના દર્દી બંને માટે સારું છે.
બાળકને શરદી-ખાંસી શરૂ થાય ત્યારથી શરીર ઉપર લાલ ચાંઠા હોય ત્યા સુધીનો સમય ચેપી હોય છે. લાલ ચાંઠા દેખાય તે પહેલાં, જ્યારે બાળકને શરદી, ખાંસી અને તાવ હોય છે ત્યારે ઓરીનું નિદાન કરવું અઘરું હોય છે. તેથી રોગનો ફેલાવો અટકાવવાનું અઘરું છે. ચાંઠા નીકળ્યા પછી બાળકને અલાયદું રાખવામાં આવે તો પણ તે પહેલાં તેના સંપર્કમાં આવેલા બાળકોને ચેપ લાગી ગયો હોય છે.
ઓરી સામે બાળકને રક્ષણ આપવાનો એક માત્ર ઉપાય છે, તેને ઓરીની રસી મૂકાવવાનો ! આ રસીથી ઓરીના જંતુઓનો પ્રતિકાર કરવાની શક્તિ વધે છે. સામાન્ય રીતે નવ મહિનાની ઉંમરે રસીનો એક ડોઝ મૂકવામાં આવે છે. M.M.R. ની રસી જેમાં ઓરીની રસી ભેગી હોય છે તે રસી ઓરીની રસીના બદલે અપાવવી જોઈએ અને ૧૫ મહિનાની ઉંમરે જો બીજી વખત M.M.R. ની રસી મૂકવામાં આવે આવે તો રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ વધું સંગીન બને છે અને તેનો ત્રીજો ડોઝ પાંચ વર્ષની ઉંમરે અપાવવો જોઈએ. આ રીતે M.M.R. ની રસીના કુલ ત્રણ ડોઝ થવા જોઈએ.
હવે સરકારી પ્રોગ્રામમાં પણ ફક્ત ઓરીની રસીના બદલે M.R. ની રસી (ઓરી+રૂબેલા / Measles+Rubella) આપવાનું શરૂ કરેલ છે.