અધૂરા મહિને જન્મતાં બાળકો અને આવા નવજાત બાળકોના આઈ.સી.યુ. (નિયોનટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ) વિશે જાણવું એ દરેક માતા-પિતા માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો બાળકને જન્મ પછી તાત્કાલિક સારવારની જરૂર પડે.

આખી દુનિયામાં દર વર્ષે 17 નવેમ્બરનો દિવસ “World Prematurity Day” તરીકે ઉજવાય છે. તંદુરસ્ત બાળકો જ દેશનું ભવિષ્ય છે. એમાં પણ ખાસ કરીને અધૂરા મહિને જન્મેલા બાળકો અને એની માતાની તંદુરસ્તી બંને ખૂબ જ મહત્વના છે. નવજાત બાળકની સૌથી મોટી તકલીફ જો કોઈ ગણવી હોય તો અધૂરા મહિને જન્મ લેવો એ ગણી શકાય.

ચાલો જાણીએ અધૂરા મહિને જન્મતાં બાળકો વિશે…

  1. દુનિયામાં દર વર્ષે ૧.પ કરોડ બાળકો અધૂરા મહિને જન્મે છે. ગર્ભાવસ્થાના 37 અઠવાડીયા પૂરા થાય એ પહેલાં જન્મેલાં તમામ નવજાત બાળકોને અધૂરા મહિને અથવા કાચા મહિને જન્મેલાં કહેવાય, પછી વજન ભલે ગમે એટલું હોય.
  2. જન્મ લેતાં દર દસ બાળકોમાંથી એક બાળક અધૂરા મહિને જન્મે છે. એટલે કે લગભગ 10% જેટલી માતાઓ પોતાની ગર્ભાવસ્થા કોઈ ને કોઈ કારણસર પૂરા મહિના સુધી લંબાવી શકતી નથી.
  3. દુનિયામાં સૌથી વધારે અધૂરા મહિને બાળકો ભારતમાં જન્મે છે.
  4. દુનિયામાં દર ૩૦ સેકન્ડે અધૂરા મહિને જન્મતું એક બાળક મૃત્યુ પામે છે. ફક્ત વિચાર કરો કે એક દિવસમાં, એક મહિનામાં, એક વર્ષમાં અધૂરા મહિને જન્મતાં કેટલાં બાળકો મરી જતાં હશે?
  5. પ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું સૌથી મોટું કારણ અધૂરા મહિને જન્મતાં બાળકો છે.
  6. વધારે પડતી મોટી અથવા નાની ઉંમરમાં બનતી માતાઓમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે. એની સાથે સાથે એવી કેટલીયે તકલીફો છે જેમાં અધૂરા મહિને બાળક જન્મે છે.
  7. ૭પ% કરતાં વધારે બાળકોને સઘન સારવાર વગર પણ બચાવી શકાય છે. પરંતુ પૂરા મહિને જન્મેલાં બાળકોની સરખામણીમાં આવા બાળકોને વધારે તકેદારીની જરૂર પડે છે.
  8. પહેલાં 28 દિવસ દરમિયાન મૃત્યુ પામતાં નવજાત શિશુઓના કારણોમાં સૌથી સામાન્ય કારણ એ અધૂરા મહિને જન્મ થવો એ છે.

અધૂરા મહિને જન્મેલાં બાળકો, ઓછા વજનવાળા બાળકો, જન્મજાત ખોડખાંપણવાળા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો, જન્મ સમયે ન રડેલા બાળકો, હૃદયની તકલીફવાળા બાળકો અને એના સિવાય કેટલીયે એવી તકલીફો નવજાત બાળકોને થતી હોય છે કે જેમાં કોમળ ફૂલ જેવા આ બાળકોને આઈ.સી.યુ.માં સઘન સારવાર આપવી પડે છે. અને આ નવજાત બાળકોનું આઈ.સી.યુ. એટલે જ એન.આઈ.સી.યુ. અથવા તળપદી ભાષામાં કાચની પેટી પણ કહેવામા આવે છે.

એન.આઈ.સી.યુ.માં સારવાર દરમિયાન કેટલાય બાળકોને શારીરિક અપરિપક્વતાના લીધે કેટલીયે વાર ગંભીર અને જીવલેણ ચેપ એટલે કે ઇન્ફેક્શનનો અથવા બીજી તકલીફોનો સામનો કરવો પડે છે.

ગર્ભમાં પૂરતો વિકાસ ના પામેલાં અને અધૂરા મહીને જન્મતાં બાળકોને દૂધ પચવામાં પણ તકલીફ થતી હોય છે. તજજ્ઞ નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ્ય પદ્ધતિથી અપાતું દૂધ બાળકને પચવામાં સરળ રહે છે અને બાળકના શારીરિક વિકાસમાં જલ્દી કામ આવે છે. નવજાત બાળકોના આવા આઈ.સી.યું.માં સંપૂર્ણ રીતે ટ્રેનિંગ લીધેલા નર્સિંગ સ્ટાફનું પણ એટલુ જ મહત્વ છે.

એટલે જ ફક્ત આઈ.સી.યું. નહિ, પણ નવજાત બાળકોની સારવાર કેવી રીતે કરવી એની ટ્રેનિંગ લીધેલા યોગ્ય નર્સિંગ સ્ટાફ અને ઉચ્ચ કક્ષાની સાધન સામગ્રીવાળા એન.આઈ.સી.યું.માં જ નવજાત બાળકોની સારવાર થવી જોઈએ… અને તો જ આવા કાચાં જન્મેલાં અથવા 600-700-800 ગ્રામવાળા બાળકોને સંપૂર્ણ સુરક્ષિત રીતે બચાવી શકાય છે.

ફક્ત બાળક બચાવવું એટલું જ મહત્ત્વનું નથી પણ એનો સંપૂર્ણ શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં પણ ભવિષ્યમાં કોઈ બાધા ના આવે એની તકેદારી જન્મના પહેલા જ દિવસથી લેવી પડે છે. અને એટલે જ આવા આઈ.સી.યું.માં નર્સિંગ સ્ટાફનું ખૂબ મહત્વ છે.

Only survival is not enough, intact survival matters… Because every baby has an equal chance to live a healthy life… 

Leave a comment

Responsive Footer