
“મારા બાળકને કફ થયા છે.” “છાતીમાં કફ ભરાઈ ગયા છે.” “છાતીમાં કફ ખખડે છે.” ….તો શું કરવું???
આવા પ્રશ્નો કેટલાય માતા-પિતાઓને અથવા ઘરના વડીલોને સતાવતા હોય છે અને સમાજમાં બહુ જ સામાન્ય રીતે પ્રચલિત પણ છે.
સૌથી પહેલા પ્રશ્નનો જવાબ મેળવતા પહેલાં આપણે જાણી લેવું જરૂરી છે કે “કફ” એટલે શું?
- Cough(કફ) એ અંગ્રેજી શબ્દ (Noun) છે. Cough એટલે ઉધરસ/ ખાંસી.
- ‘ To cough’ (verb) એટલે કે ‘ખાંસી ખાવી’, ‘ ઉધરસ ખાવી’ અથવા ‘ઉધરસ આવવી’ એ ક્રિયાપદ છે.
સમાજમાં “કફ” (so called) વિશે કેટલીયે ખોટી માન્યતાઓ પ્રચલિત છે. જેમાં સૌથી સામાન્ય ગેર-માન્યતા તો એનું અર્થઘટન જ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કફ એટલે “ગળફો” અથવા ખાંસી આવે એની સાથે જે પદાર્થ ફેફસાંમાંથી મોં વાટે બહાર નીકળે એ. પરંતુ આ તદ્દન ખોટું અર્થઘટન છે.
♦ હવે વાત રહી ઉપરના પ્રશ્નની…
- એ બધા જ વાક્યોમાં જો’કફ’ (cough) ની જગ્યાએ એનો સાચો ગુજરાતી શબ્દ મૂકીએ તો કંઈક આવાં વાક્યો બને…. ‘મારા બાળકને ઉધરસ થયા છે’, ‘છાતીમાં ઉધરસ ભરાઈ ગયા છે,’ ‘છાતીમાં ઉધરસ ખખડે છે.’ લાગે છે ને કંઈક અજુગતું…. એટલે જ ‘કફ થયા છે’ એવું ના કહેવાય…
♦ હવે વાત રહી કે સાચું શું?
- તમે જ્યારે પણ તમારા ડોક્ટરને તમારી કોઈ પણ તકલીફ માટે બતાવવા જાઓ છો ત્યારે હંમેશા સૌથી પહેલા તમારી તકલીફ જણાવો, નિદાન કહેવાની જરૂર તમારે નથી. ઘણા લોકો હોસ્પિટલ આવીને ડોક્ટરને સીધું નિદાન કહે અથવા સીધો રિપોર્ટ બતાવે. ઉદાહરણ તરીકે જોઈએ તો….
- બાળકને જો તાવ આવતો હોય તો તાવ આવે છે એમ કહેવાય. મેલેરિયા કે ડેન્ગ્યુ થયો છે એમ ના કહેવાય. (તાવ એ તકલીફ છે, મેલેરિયા કે ડેન્ગ્યુ એ નિદાન છે)
- બાળક પીળું દેખાય છે એમ કહેવાય. હિપેટાઇટિસ થયો છે કે કમળો એમ ના કહેવાય. (પીળું દેખાવું એ તકલીફ છે. કમળો થયો છે એ નિદાન છે.)
- પેટમાં દુખતું હોય તો પેટ દુખે છે એમ કહેવાય. પથરી છે અથવા એપેંડીક્સ છે એમ ના કહેવાય. (પેટમાં દુખવું એ તકલીફ છે, પથરી/ એપેંડીક્સ એ નિદાન છે.)
- તમારે તમારા બાળકની તકલીફો વિશે ઉંડાણમાં ડોક્ટરને જણાવો. ડોક્ટરને એ તકલીફો વિશે બીજા વધારાના પ્રશ્નો પૂછવા હશે તો એ તમને પૂછી અને જાણવા જેવું બધું જાણી લેશે. અને પછી નિદાન શું કરવું એ ડોક્ટરનું કામ છે, તમારું નહીં. એટલે ક્યારેય નિદાન કહેવા કરતાં તકલીફો કહેવી એ તમારા બલ્ક માટે વધારે હિતાવહ છે.
♦ જાણીએ કફ વિશેની ગેરમાન્યતાઓ…
- મોટા ભાગે લોકો એવું જ માનતા હોય છે કે છાતીમાં શ્વાસ લેતી વખતે અથવા ખાંસી ખાતી વખતે અવાજ આવે એટલે “કફ થઈ ગયા” અથવા “છાતી માં કફ ભરાઈ ગયા.”
- મોટા ભાગના બાળકોમાં સામાન્ય શરદી અથવા શરદી- ખાંસીમાં બાળકોના નાકમાં પાણી જેવું પ્રવાહી અથવા કોઈક વખતે ઘટૃ અને ચીકણું પ્રવાહી નીકળતું હોય છે. બાળકોના નસકોરા અને શ્વસનમાર્ગની સાઇઝ પ્રમાણમાં નાની હોય છે.
- એટલે બાળકોમાં શ્વાસોશ્વાસ વખતે નસકોરામાં રહેલા પ્રવાહીમાંથી અવાજ પેદા થાય છે અને એ અવાજથી એવું લાગે છે કે જાણે “કફ” થઈ ગયા. ઉદાહરણ તરીકે પાણીની સાંકડી પાઈપમાં જ્યારે થોડું પાણી પડયું હોય અને એમાં પાણી વહે એટલે અવાજ પેદા થાય. મોટા ભાગના બાળકોમાં આવો અવાજ જ હોય છે અને એ “કફ” હોતા નથી. પરંતુ સંપૂર્ણ નિદાન કરવા માટે તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે.
♦ બીજી એક ખોટી માન્યતા એવી છે કે “ઝાડા” વાટે કફ નીકળી જાય તો સારું…
- ઘણા ખરા બાળકોમાં શરદી ખાંસી વાઈરલ ઇન્ફેક્શનથી થતી હોય છે અને એ જ ઇન્ફેક્શન ઝાડા પણ કરી શકે છે અથવા ડોક્ટરે સૂચવેલી એન્ટિબાયોટીક દવાથી પણ ઝાડા થઈ શકે છે. નાકમાંથી આવતું પ્રવાહી નાકમાં પાછળના ભાગે જો જાય તો બાળક તેને ગળી જાય છે અને એ પેટમાં જાય છે અને અંતે ઝાડામાં એ નીકળે છે. આવું થવાથી લોકો એવું માની બેસે છે કે ઝાડા વાટે “કફ” નીકળી ગયો. વાસ્તવમાં એ ગેર- માન્યતા છે.
નિયોકિડઝ બાળકોની હોસ્પિટલ હંમેશાં માતા- પિતાઓને તેમના બાળકોને બીમારીઓથી બચાવવામાં અને તંદુરસ્ત જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચન આપે છે. કેટલીક સારી ટેવો કે જે માતા- પિતાએ અને બાળકે પણ શીખવી જરૂરી છે.
વધારે ઊંડાણમાં માહિતી માટે નિયોકિડઝ બાળકોની હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો…. આભાર…