
બાળક ક્યારેક તો જીદ કરે જ છે. અમુક બાળકો બીજાને અથવા પોતાની જાતને નુકસાન થાય એટલી હદે જીદ કરે છે. દા. ત., વસ્તુઓ પછાડવી અથવા ફેંકી દેવી, પોતાનું માથું પછાડવું અથવા ગૂંગળામણ થાય ત્યાં સુધી શ્વાસ રોકવો. છેલ્લી રીત સૌથી ડરામણી હોય છે. બાળક એટલું બધુ રડે કે એનો શ્વાસ પણ રોકાઈ જાય અને પછી બાળક ભૂરું પડી જાય છે અને કોઈક વખતે ગૂંગળામણને કારણે તાણ/ખેંચ પણ આવે છે. મોટેભાગે અડધી-એક મિનિટમાં બાળકને શ્વાસોશ્વાસ શરૂ થાય છે અને બાળક પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.
બાળકને ખેંચ આવે તે કોઈ પણ વાલીને બીક લગાવી એ સ્વાભાવિક છે. પરિણામે બાળકની દરેક જીદ પૂરી પાડવાની વાલીની વૃત્તિ હોય છે અને મનગમતું કરવાની અને મેળવવાની બાળકની આ રીત બની જાય છે. ‘‘શ્વાસ રોકીને રડું તો મને મારી રીતે બધું મળે છે’’ એવું બાળકને લાગવુ ન જોઇએ. આવે વખતે બહુ કડક વલણથી નહીં પણ યોગ્ય શિસ્ત જાળવીને જ કામ થાય. બાળકની માગણી યોગ્ય હોય તો રડે તે પહેલાં જ માન્ય કરવી. પરંતુ અયોગ્ય હોય તો બાળકને રડીને આવશે એ બીકથી નમતું જોખવું નહીં. બાળક નાનો હોય તો પણ માબાપની ભાવના જાણી શકે છે. તેથી જરા પણ ડર્યા વગર મક્કમતાથી શિસ્તનું પાલન કરવાનું અગત્યનું છે. ભાગ્યે જ કોઈ વખતે, બાળક બહુ લાંબા વખત સુધી શ્વાસ રોકી ત્યારે કુત્રિમ રીતે શ્વાસોશ્વાસની આપવાની જરૂર પડે છે. અથવા ખેંચ લાંબો વખત સુધી ચાલે તો તે માટેના ઇન્જેકશનો આપવા પડે છે. તે સિવાય બીજી કોઇ દવા કે ઉપચાર કરવાની જરૂર પડતી નથી. બાળક ત્રણ-ચાર વર્ષનું થતા જીદ કરવાની આ રીત છોડી દે છે. હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોવું અથવા લોહતત્વની ઉણપ કંઈક અંશે આને માટે જવાબદાર કરવામાં આવે છે. મોં દ્વારા આયર્નવાળી એટલે કે લોહી બનવાની દવા આપવાથી તેમાં ફાયદો થઈ શકે છે. બહુ વધારે તકલીફ લાગે અથવા વારે ઘડીએ આવું થતું હોય તો તમારા બાળકોના ડોક્ટરને બતાવી દેવું હિતાવહ છે.