
ધાવણ વિષેની ગેરમાન્યતાઓ
ગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ એક એવું પ્રકરણ છે કે જે વર્ષોથી અનેક પ્રકારની ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલું રહ્યું છે. પેઢી દર પેઢીથી આ ગેરમાન્યતાઓ ચાલી આવે છે. વર્ષોથી ચાલી આવતી આવી રૂઢિગત ગેરમાન્યતાઓ અને દંતકથાઓ હજ પણ ર૧મી સદીમાં નવી-નવેલી બનેલી માતાઓને કહેવામાં આવે છે. જે વૈજ્ઞાનિક રીતે (કેટલાય અભ્યાસો પછી) સંપૂર્ણપણે ખોટી સાબિત થયેલી છે.
આજે ભારત દેશમાં છ મહિનાથી નીચેની ઉંમરના બાળકોમાં સંપૂર્ણપણે ધાવણ આપવાનો રેટ ફકત પપ% છે અને જન્મ પછીના પહેલા જ કલાકમાં ધાવણ શરૂ કરવાનો રેટ ફકત ૪૧% છે.
ચાલો, આવો અને સાથે મળીને આવી ગેરમાન્યતાઓને સમાજમાંથી દૂર કરીએ અને નવજાત શિશુઓનું ભવિષ્ય ઉજ્જવળ અને તે તેમને તંદુરસ્ત બનાવવાનો મક્કમ પ્રયાસ કરીએ…
ગર્ભાવસ્થાના લગભગ પાંચમા મહિનાથી માતાના સ્તનમાં દૂધ બનવાની શરૂઆત થઈ જતી હોય છે. ઘણી વખતે કેટલીયે ધાત્રી માતાઓએ આ અનુભવ(છાતીમાંથી દૂધનું ઝરવું) કર્યો પણ હશે. વૈજ્ઞાનિક રીતે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માતાના સ્તનમાં બાળક માટેનો ખોરાક પહેલેથી તૈયાર જ હોય છે. ‘ઘર સળગે ત્યારે કૂવો ખોદવા બેસવું’ એ કહેવત માણસ માટે છે, ભગવાન માટે નહીં. કુદરતે બાળક આપ્યું છે તો તો તેનો ખોરાક આપવો એ પણ કુદરતની ફરજ છે અને કુદરતી સંરચના પણ એ પ્રકારની જ બનાવી છે. પરંતુ માણસ હંમેશા અણસમજ(અથવા વધારે પડતી સમજ)ના લીધે બાળકને માતાના સ્તનમાંથી આવતો અવિરત એવો અમૂલ્ય અને અમૃત સમાન ખોરાક કે જે બાળક માટે બહુ જ મહત્વનો અને કિંમતી હોય છે તેનાથી વંચિત રાખે છે અને માટી-તુલ્ય ઉપરનું દૂધ અથવા પાવડરનું દુધ આપવાનો પ્રયત્ન કરે છે.
બાળક જ્યારે સ્તનપાન કરે ત્યારે તેની સ્તનપાન કરવાની પદ્ધતિ તદ્દન અલગ હોય છે. બાળકની જીભ અને તાળવાની વચ્ચે ડિંટડી(નિપલ) અને એની આજુબાજુનો ઘેરો કાળો ભાગ(એરીઓલા) ચૂસવાની રીત કુદરતે આપેલી અનોખી બક્ષિસ છે.
આમાં મોટાભાગે એવું થતું હોય છે કે ઘરની વડીલ અથવા મોટી ઉંમરની સ્ત્રીઓ માતાના સ્તન અથવા ડિંટડી દબાવીને ચેક કરતા હોય છે કે દૂધ આવે છે કે નહીં. બાળકનું સ્તનપાન વખતે ચૂસવું અને સ્તન અથવા ડિંટડી દબાવીને ચેક કરવું; આ બંને પદ્ધતિઓમાં રાત-દિવસનો ફરક છે. ચૂસવું અને દબાવવું આ બંને રીતો ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ તદ્દન અલગ છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો બાળક ચૂસે તો જ દૂધ આવે. એટલે કે સ્તન અથવા ડિંટડી દબાવીને ચેક કરવાની પદ્ધતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન ખોટી છે. કોઈપણ માતાના સ્તનમાં દબાવીને જુઓ અને દૂધ ના આવે અથવા ઓછું આવે એનો મતલબ ધાવણ નથી આવતું અથવા ઓછું આવે છે એવો કદાપિ પણ ના થાય. દુનિયામાં માત્ર અને માત્ર માણસની પ્રજાતિ જ એવી છે કે જેના ઘરે નવજાત બાળક આવે ત્યારે બીજા પ્રાણીનું દૂધ અથવા પાવડર શોધવા જાય છે.
મોટેભાગે એવું બનતું હોય છે કે બાળકને સ્તનપાન વખતે સાચી પદ્ધતિથી પકડયું ના હોય અથવા યોગ્ય પોઝિશન ના આપી હોય તો પણ નવજાત બાળક દૂધ ના પી શકે અથવા પકડી શકે. આવું ખાસ કરીને પ્રથમ વખત બનેલી માતાઓમાં જોવા વધુ મળે છે. એટલે જો સાચી પદ્ધતિથી જન્મ પછી બને એટલું જલ્દી અને વધારે સમય માટે તેમજ વધારે વખત આપવામાં આવે તો લગભગ ૧૦૦ ટકા બાળકોમાં આરામથી સ્તનપાન કરાવી શકાય. શરૂઆતના દિવસોમાં આવતું કોલોસ્ટ્રમ(ખીરું) પ્રમાણમાં ઓછું તેમજ પૌષ્ટિક તત્વો અને રોગ પ્રતિકારક દ્રવ્યોથી ભરપૂર હોય છે. જેને બાળકનું પ્રથમ રસીકરણ પણ કહેવામાં આવે છે.
નવજાત બાળકના જઠરની ક્ષમતા શરૂઆતના દિવસોમાં ઓછી હોય છે અને સમય જતાં એ ધીમે ધીમે વધે છે એ જ રીતે શરૂઆતના દિવસોમાં બાળકની કિડનીની ગાળણક્રિયાની ક્ષમતા પણ ઓછી હોય છે. એટલે જ કુદરતે પણ ધાવણ આવવાની પ્રક્રિયા પણ એવી જ રીતે બનાવી છે. શરૂઆતમાં ઓછું (પરંતુ બાળક માટે એકદમ પૂરતું દૂધ આવે) અને ધીમે ધીમે સમય જતાં એનું વોલ્યુમ વધે છે. એટલે કે જો શરૂઆતના દિવસોમાં ઉપરથી ક્ષમતા કરતાં વધારે દૂધ આપવામાં આવે તો જઠર અથવા કિડની અથવા બંને ઉપર વધારાનો બોજો અથવા તકતકલીફ પડી શકે છે અને એના લીધે અને એના લીધે બાળકના શરીરના બીજા અંગોને નુકશાન થઈ શકે છે. સૌથી મહત્વની વસ્તુ નવજાત બાળકને સ્તનપાન કરાવવા માટે ઘરના સભ્યોએ માતાને સૌથી વધારે સપોર્ટ કરવો બહુ જરૂરી છે. માતાની સંભાળ લેતી ઘરની સ્ત્રીઓ અથવા વડીલ મહિલાઓએ ક્યારેય કોઈપણ પ્રકારની નેગેટીવ વાત (દા. ત. દૂધ નહીં આવતું હોય એટલે રડે છે.) માતા સમક્ષ ના કરવી જોઈએ. માતાની વિચારસરણી અને મક્કમતા પણ એટલો જ ભાગ ભજવે છે. માતાએ હંમેશા ખુશ રહેવું અને ખોટા વિચારો કરવા નહીં.
ગેરમાન્યતાઓ…. કે જે વૈજ્ઞાનિક રીતે ખોટી છે અને અભ્યાસમાં ખોટી સાબિત પણ થયેલી છે….
૧. માતાએ ખાધું ના હોય તો ધાવણ ના આવે.
ર. ઓપરેશન પછી બે ત્રણ દિવસ સુધી ધાવણ ના આવે.
૩. બાળક લેતું નથી એટલે દૂધ નહીં આવતું હોય.
૪. બાળક સ્તન પર વળગી જ રહે છે એટલે ઓછું આવતું હશે.
પ. બાળક તરત જ છોડી દે છે એટલે ઓછું આવતું હશે.
૬. છાતીમાં ભરાવો થયો હોય એવું લાગતું નથી એટલે ધાવણ નહીં ચડયું હોય.
૭. છાતીમાંથી દૂધ ઝરતું નથી એટલે નહીં આવતું હોય.
૮. આગળના બાળક વખતે નહોતું આવ્યું એટલે આ વખતે પણ નથી આવતું.
૯. ધાવણ આપ્યા પછી પણ રડવાનું ચાલુ જ રાખે છે એટલે ધાવણ ઓછું આવતું હશે.
સ્તનપાન કરાવવું એ દરેક માતાની ફરજ અને એના બાળકનો હક છે. એ હક છીનવી લઈને એ પાપના ભાગીદાર શું કરવા બનવું જોઈએ ?
“લાંબા સમય સુધી ધાવણ આપી માતૃત્વની પૂર્ણતાનો આનંદ મેળવો અને બાળકની શારીરિક અને માનસિક બુધ્ધિ પ્રતિભાના વિકાસમાં સહભાગી બનો.” : ડો રોનક પટેલ