જીવનના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ…

જીવનના પ્રથમ કલાકમાં વિશ્વમાં 5 બાળકોમાંથી 3 બાળકોને સ્તનપાન અપાતું નથી.

ખરેખર નવજાત બાળકનું જીવન બચાવવા માટે જન્મ પછી એક કલાકની અંદર સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

વિશ્વમાં અંદાજે 78 મિલિયન બાળકોને ( દર પાંચમાંથી ત્રણ બાળકોને) જીવનના પ્રથમ કલાકમાં સ્તનપાન અપાતું નથી, જે મૃત્યુ અને જીવલેણ રોગનું જોખમ વધારે છે અને સ્તનપાન ચાલુ રાખવાની શક્યતાઓ ઓછી બનાવે છે. જન્મ પછીના થોડા કલાકો પણ જો વિલંબ થાય તો જીવન જોખમી પરિણામો આપી શકે છે. જલ્દી ધાવણ શરૂ કરવાથી અને માતા અને બાળકને સાથે રાખવાથી માતાના સ્તનમાં ધાવણ પણ વધે છે, જેમાં કોલોસ્ટ્રમનો સમાવેશ થાય છે, જેને બાળકની ‘પ્રથમ રસી’ પણ કહેવાય છે, જે પોષક તત્વો અને એન્ટિબોડીઝથી ભરપૂર અને અત્યંત ગુણકારી હોય છે.

ડિલિવરી પછી જ્યારે સ્તનપાન શરૂ કરવાની વાત આવે ત્યારે, સમયનો સદુપયોગ જ બધું છે. ઘણા દેશોમાં, તે જીવન અથવા મૃત્યુની નક્કી કરનારી બાબત પણ બની શકે છે. માતાઓને બાળકના જન્મ પછીની નિર્ણાયક મિનિટોમાં સ્તનપાન કરવા માટે પૂરતા પ્રમાણમાં સમર્થન હજુય મળતું નથી, ખાસ કરીને હોસ્પિટલ અને તેમના નર્સિંગ સ્ટાફ દ્વારા. સ્તનપાનથી બાળકોના જીવનનો શ્રેષ્ઠ પ્રારંભ થવો જોઈએ.

“શક્ય એટલું જલ્દી સ્તનપાન” નું મહત્વ ખબર હોવા છતાં, ઘણા નવજાત શિશુઓને જુદા જુદા કારણોસર ખૂબ લાંબા સમય પછી ધાવણ ચાલુ કરાય છે. જેમના કારણો નીચે મુજબ હોય શકે છે.

1. પાવડરનું દૂધ, જન્મગુટ્ટી અથવા ગળથૂથી આપવી.
2. ઓપરેશનથી ડિલિવરીમાં વધારો.
3. માતા અને નવજાત બાળકને આપવામાં આવતી સારવારની ગુણવત્તામાં કચાશ.
4. ઓપરેશન કે ડિલિવરી પછી બે દિવસ ધાવણ ના આવે એવી ગેરમાન્યતામાં રહેવું.
5. ડિલિવરી પછી માતાએ ખાધા વગર ધાવણ ના આવે એવી ખોટી માન્યતા.

આવી તર્કવિહીન અને પાયાવિહોણી વાતો માન્યા વગર નવજાત બાળકને પ્રથમ છ માસ સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ આપી માતૃત્વની પૂર્ણતાનો આનંદ મેળવો અને બાળકની શારીરિક અને માનસિક બુદ્ધિ પ્રતિભાના વિકાસમાં સહભાગી બનો. 

Leave a comment

Responsive Footer